jump to navigation

મળવા જેવા માણસ- ધીરુભાઇ શાહ પરિચય કાર- નવીન બેંકર January 21, 2015

Posted by vijayshah in : maahitI , 1 comment so far
Dhirubhai Shah
૯૪ વર્ષની વયના આ જુવાને, ૧૯૯૭માં તેમના પત્નીના અવસાન પછી, લખવા-વાંચવાનું શરુ કરીને, ગુજરાતી સાહિત્ય સાથે નાતો જોડી રાખ્યો છે. દેશ પરદેશના માસિકો અને વર્તમાનપત્રોમાં તેમના કાવ્યો, લેખો, વાર્તાઓ, નિબંધો પ્રસિધ્ધ થતા રહે છે.  તેમના લખાણોમાં ભાવ છે, ભક્તિ છે, વ્યથા છે, લાગણી છે, અનુભવોનું ભાથું છે, વ્યવસાયની વાતો યે છે, બોધ છે અને ખાસ તો વૃધ્ધોની સમસ્યાઓ પણ છે. તેમની રચનાઓ સરલ, સહજ ભાવથી ભરેલી તેમજ સામાન્યજનોને પણ સમજાય તેવી બોધદાયક હોય છે. હ્યુસ્ટનના  ‘દર્પણ’, ‘  ‘ગુજરાત ગૌરવ’ તેમ જ ન્યુજર્સીના ‘ગુજરાત દર્પણ’માં તેમની કૃતિઓ નિયમિત પ્રસિધ્ધ થતી હોય છે. લગભગ ચાલીસેક વર્ષથી પોતાના દીકરા દિનેશ શાહ સાથે સુગરલેન્ડમાં રહીને નિવૃત્ત જીવન વીતાવે છે. તેમના નિવાસસ્થાને લીધેલી મુલાકાતના કેટલાક અંશ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું.
પ્રશ્ન-  મુરબ્બીશ્રી. ધીરુભાઇ, આપને ૧૯૯૨થી ઓળખું છું. સિનીયર સિટીઝન્સ એસોસિયેશનના પાયાના એક પથ્થર તરીકે જ ઓળખતો હતો. પછી, સાહિત્યસરિતાના એક એક્ટીવ મેમ્બર તરીકે આપની કૃતિઓનો રસાસ્વાદ કરવાનો મોકો મળ્યો એટલે અમારા વાંચકોને આપનો વધુ પરિચય થાય એ દ્રષ્ટીથી આપની મુલાકાત લેવા પ્રેરાયો છું. આપે સૌ પ્રથમ લેખનપ્રવૃત્તિ ક્યારે શરૂ કરેલી ?
ઉત્તર- નવીનભાઇ,  આમ તો લેખનની શરૂઆત ૧૯૪૦-૪૧ના ગાળામાં, જ્યારે હું ગુજરાત કોલેજમાં ભણતો ત્યારથી જ થયેલી. મને યાદ છે કે ૧૯૪૫માં, મેં એક અંગ્રેજી કાવ્ય લખેલું. શબ્દો કાંઇક આ પ્રમાણે હતા- Do your Duty, Die for Duty…વગેરે…એ કાવ્ય પ્રોફેસર દાવર સાહેબને મોકલેલું. તેમણે એ કાવ્ય ગુજરાતીમાં લખવા મને પાછું મોકલેલું.
પ્રશ્ન-  આપના જીવનકાળની આછી રૂપરેખા કહેશો ? એટલે કે જન્મસ્થળ, અભ્યાસ, વ્યવસાય વગેરે…
ઉત્તર-   મારો જન્મ  ૧ નવેમ્બર ૧૯૨૧માં ગુજરાતના પ્રખ્યાત  યાત્રાધામ ડાકોર પાસેના ઠાસરા ગામમાં થયેલો. અભ્યાસ બી.એ. ઓનર્સ વીથ ફિલોસોફી, એમ.એ. વીથ સાયકોલોજી. એલ.એલ.બી. માટે બે વર્ષની ટર્મ ભરેલી. પણ પિતાશ્રીની બિમારીને કારણે પરીક્ષા આપી શકાઇ ન હતી.  નોકરી ટેલીગ્રાફ ઓફીસમાં. હરીશ નાયક અને આપણા અંબુભાઇ દેસાઇ પણ અમારી સાથે ટેલીગ્રાફ ઓફીસમાં કામ કરતા હતા. ૧૯૩૫ થી ૧૯૮૨ સુધી અમદાવાદમાં અને ૧૯૮૨ પછી અમેરિકામાં વસવાટ.
પ્રશ્ન-  આપે ફુલ ફ્લેગ્ડ લખવાનું ક્યારે શરૂ કર્યું ?
ઉત્તર—૧૯૯૭માં ,મારાં પત્ની અમેરિકામાં હાર્ટ એટેકથી ગુજરી જતાં,  જિન્દગીના ૭૬ મા વર્ષે હું એકલો પડી ગયો. કામકાજ અને જીવનસાથી વગરની એકલતા દૂર કરવા માટે લેખન-વાંચનનો સહારો લીધો.
પ્રશ્ન-  આપની સાહિત્યવૃત્તિ અંગેની વાતો કહેશો ?
ઉત્તર- ૨૦૦૧માં, ‘સુખશાંતિનો માર્ગ’ નામે પત્રિકાનું સંકલન કરી ,છપાવી. ન્યુયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના હુમલા અંગેની મારી અંગ્રેજી કવિતા ‘ ગોડ બ્લેસ અમેરિકા’ , હ્યુસ્ટનના  ‘ SUN’ મેગેઝીને પ્રસિધ્ધ કરી.
૨૦૦૨માં , ‘ વનવગડાનાં ફુલ’ પુસ્તક સ્વરુપે આવ્યું.
‘સિનીયર ન્યુઝ’ નામના અત્રેના અંગ્રેજી  માસિકે મારી લખેલી કેટલીક અંગ્રેજી ભાષામાં લખાયેલી કવિતાઓ પ્રસિધ્ધ કરી. અમદાવાદના ‘ઘરશાળા’ માસિકે પણ ઘણી કૃતિઓ છાપી. ત્યાર પછી તો ‘ વનવગડાની વાતો’, ‘વનવગડાની વાટે વાટે’, બગીચાનાં ફુલો’, ‘વાતોનું વાવેતર’, ‘હ્ળવા હાસ્યનું પાનેતર અને પ્લસ ( ભાગ-૧ અને ભાગ-૨ ) પ્રકાશિત થયા. ‘હાઇકુ’ અને ‘તાન્કા’ પર પણ મેં હાથ અજમાવ્યો છે.
પ્રશ્ન- આપની સાહિત્યપ્રવૃત્તિમાં મદદરુપ થયેલા મિત્રો કે સંસ્થાઓ અંગે કશું કહેશો ?
ઉત્તર- સૌ પ્રથમ તો મારા પુત્ર દીનેશ અને પુત્રવધુ હેમંતીના સાથ-સહકાર વગર હું આટલી પ્રવૃત્તિ ન કરી શક્યો હોત. ‘અખંડ આનંદ’, ‘જનકલ્યાણ’, ‘નવચેતન’, ‘ગુજરાત ટાઇમ્સ’, ‘ગુર્જરિ ડાયજેસ્ટ’, ‘ગુજરાત દર્પણ’, ગુંજન’, ‘સેવક’, જેવા સામયિકોના સાથ વગર આ કામ થઇ શક્યું ન હોત. મને પ્રોત્સાહન આપનાર સર્જકમિત્રોમાં  ભાવનગરના ગંભીરસિંહ ગોહિલ, ભરુચના કિનાક્ષી યાદવ, દ્વારકાના ઇશ્વર પરમાર,  વડોદરાના પ્રોફેસર શ્રી. આર.સી. મહેતા, ગાંધીનગરના પ્રજ્ઞાબેન, શ્રી. આણદજી ડોસા, હ્યુસ્ટનના હયદર અલી જીવાણી, ગિરીશ દેસાઇ, શ્રી. વિજય શાહ,  ‘ સેવક’ના તંત્રી શ્રી. એસ. કે તેજાણી અને નુરુદ્દીન દરેડિયા, કેલિફોર્નિયાના શ્રી. આનંદરાવ લિંગાયત સાહેબ, અમદાવાદના શ્રી. યોસેફ મેકવાન અને ઓફકોર્સ આપણી હ્યુસ્ટનની સાહિત્ય સરિતા તો ખરી જ..બીજા તો ઘણાં નામો છે પણ કેટલાંનો નામોલ્લેખ કરવો ?
પ્રશ્ન- ગુજરાતી સાહિત્ય રસિકોને કોઇ સંદેશ આપવો આપને ગમશે ?
ઉત્તર-  જરુર.. કોઇપણ કાર્યની શરૂઆત માટે કોઇ જ ઉંમર મોટી નથી. વૃધ્ધાવસ્થામાં પોતાની કોઇ મનગમતી પ્રવૃત્તિમાં પ્રવૃત્ત રહેશો તો જિન્દગી જીવવા જેવી લાગશે. પુસ્તકો સાથે દોસ્તી કરો, ઇન્ટરનેટનો ઉપયોગ શીખી લો.
પ્રશ્ન-  ધીરૂભાઇ, આપે ફાળવેલ સમય માટે ખુબ ખુબ આભાર.
ઉત્તર- યુ આર ઓલ્વેઝ વેલકમ. નમસ્તે.

દરેક કર્મ ફળ આપે છે May 23, 2013

Posted by vijayshah in : વાર્તા , 1 comment so far

નાનું કે મોટું કોઇ પણ કર્મ નકામું જતુ નથી. તે તેનુ ફળ આપેજ છે.

હિમાચલ પ્રદેશમં એક વખત ખૂબ ઠંડી, વર્સાદ અને બરફ પડવા માંડ્યો. પક્ષીઓએ પોતપોતાના માળામાં જતાં રહ્યાં પરંતુ કેટલીક નાની ચકલીઓ અને કેટલાંક કબૂતરો ફસાઇ ગયા. એ બધાં એક મકાનનાં છાપરા તળે સંતાવા લાગ્યાં, પણ ઠંડી વધવા લાગી. જીવતાં રહેવાશે કે કેમ, તેની સૌને ચિંતા થવા માંડી. નાની નાની ચકલીઓ ગભરાઇ ગઇ અને સહન ના થયુ તેથી તેમણે મોટા કબૂતરોને આજીજી કરીકે તમે દરેક જણ અમને તમારી પાંખોમાં લઇ લો. અમે શરીરે નાના છીયે એટલે અમારો જીવ જોખમમાં છે.તમે શરીરે મોટા છો તેથી તમને વાંધો નહીં આવે. અમે તમારો જીવનભર આભાર માનીશું.

શરુઆતમાં તો કબૂતરોએ આનાકાની કરવા માંડી અને કહેવા લાગ્યા કે જ્યાં અમે જ મરવા પડ્યા છીયે ત્યાં તમને ક્યાંથી સાચવીયે? પરંતુ કેટલાક દયાળુ કબૂતરોએ હા પાડી અને તે દરેકે એક એક ચકલી ને પોતાની પાંખમાં દબાવી દીધી. પણ જેમ  જેમ સાંજ પડવા લાગી તેમ ઠંડી વધવા માંડી. દરેક્ને જીવન મરણ નો સવાલ સતાવવા લાગ્યો. આ તકનો લાભ લઇ ને જે કબૂતરોએ ચકલીઓને સહાય  કરી ન હતી, તે કબૂતરો બીજા કબૂતરોને કહેવા લાગ્યા

 ” તમારું તો ઠેકાણું નથી અને ઇજાને બચાવવા નીકળ્યા છો? કેવા મુર્ખ છો? ”

આ સાંભળી પેલાં કબૂતરો તેમને કહેવા લાગ્યાં ”  ભાઇ!તે જીવ બહુ નાના છે અને ઠંડી વધતી જાય છે. જો આપણે તેમને મદદ ના કરીયે તો મરી જાય.  આપણે જીવીએ ત્યાં સુધી મોટા જીવ તરીકે આપણી ફરજ છે.”

સાંજ પડતા તે ઘરનો માલિક તેમજ ખેડુત અને તેનો દીકરોઘરમાં આવ્યા . દાખલ થતાં જ ઠંડી થી ઠરી ગયેલા એક કબૂતરને નીચે પડતાં જોયું. તેને તના પિતાને બૂમ પાડી ને કહ્યું; “પપ્પા! પપ્પા! ઠંડી થી ઠરી ગયેલું એક કબૂતર નીચે પડ્યું છે.”

જ્યારે તેના પિતાએ તે કબૂતરને નીચે થી ઉપાડ્યું તો તેણે તેની પાંખમાં નાની ચકલીને જોઇ. એટલે ખેડૂતે તેમને ગરમી મળે તે માટે ઓરડામાં તાપણું કર્યુ. ઓરડો ગરમ થતાં કબૂતરો એક પછી એક નીચે આવવા લાગ્યાં. અને તે દએક કબૂતરોની પાંખમાંથી એક એક ચકલી બહાર આવવા લાગી.

જે જે કબૂતરોની પાંખમાં એક એક ચકલી હતી તે બધાં કબૂતરો જીવતાં રહ્યાં હતાં અને જે જે કબૂતરો મરી ગયાં હતાં તેમની પાંખમાં એકે ચકલી ન હતી. આ જોઇને ખેડુત તથા તેના દીકરાને ખૂબજ આશ્ચર્ય થયું. પ્રભુનો પાડ માની ને તેઓ સુઇ ગયા.   

 

 

પૃથ્વી દર્શન- ચંદ્ર સપાટીએ થી July 28, 2012

Posted by vijayshah in : કાવ્ય્ , 1 comment so far

ચંદ્ર સપાટી પરેથી પૃથ્વી લાગે

જંગલોથી, જળથી અને હિમાલયોથી ભરેલી

જાણે તરતી ના હોયે અવકાશી દરિયામાં?

પણ ના કાંઇ એવું

પૃથ્વી સાગરમાં નહી.. સાગરો પૃથ્વી મહીં

(૨)

વૈજ્ઞાનીકો શોધે વરસોથી

જીવ સૃષ્ટિ અવકાશે વસેલા અનેક ગ્રહોમાં

જીવ સૃષ્ટિ તો કેવળ

પૃથ્વી ઉપર જ પ્રકાશે

સબંધો કેવા હોવા જોઇએ? October 27, 2010

Posted by dhirushah in : કાવ્ય્ , add a comment

www.spokanehumanrelations.com/

સબંધો કેવા હોવા જોઇએ?
જમીન અને ઝાડનાં જેવા અને
ટટાર પણ નરમ ઘાસ જેવા_
પવનનાં તોફાનમાં ઉખડે નહીં અને
પાણીનાં પૂરમાં તણાય નહીં તેવા_

સબંધોનાં પણ ઝાડ હોય છે.
કેટલાક ઉગેછે અને પાંગરે છે,
તો કેટલાક કરમાઈ જાય છે.
કેટલાક સબંધો વડ અને આંબા જેવા હોય છે.
કેટલાક સબંધો બાવળ અને કાંટા જેવા હોય છે.
કેટલાક સબંધો મીઠી મધુરી દ્રાક્ષ જેવા નીવડે છે.
તો કેટલાક સબંધો ખાટી દ્રાક્ષ જેવા નીવડે છે.

સબંધોને પણ વસંત અને પાનખર હોય છે.
સબંધોને પણ ભરતી અને ઓટ હોય છે.
સબંધોને પણ પૂનમ અને અમાસ હોય છે.
સબંધોનો આધાર સ્વાર્થ નહીં પણ ત્યાગ હોય છે.
સબંધો બાંધવા સહેલાં છે.
પણ નિભાવવા અઘરા છે.

પહેલા સબંધો હ્રદયે તોળાતા હતા.
આજે ત્રાજવે તોળાય છે.

મોજાંની જેમ જીવનને ગુંથવું પડે છે

Posted by dhirushah in : કાવ્ય્ , add a comment


જેમ મોજાંને ગુંથવા પડે છે
તેમ જીવન ને પણ ગુંથવું પડેછે.
વાતો કરતાં કરતાં અને
હસતાં હસતાં આપણે
મોજાંને ગુંથીયે છીએ
અને અવનવા રંગો પુરીયે છીએ
કોઇ ટાંકા ખોટા હોય છે
કોઇ લાઇનો ખોટી હોયછે
તે ખોલીને પાછાં ફરીથી
ગુંથીયે છીએ, સુધારી લઈએ છીએ
મોજાંની જેમ જીવનમાં પણ
જ્યારે જ્યારે કંઈક ખોટૂં થાય
ત્યારે ત્યારે હસતાં હસતાં સુધારી લેજો
અને જીવનને હર્ષ અને આનંદનાં
રંગો થી ભરી દેજો

માવલડી ગુજરાતને

Posted by dhirushah in : કાવ્ય્ , add a comment


ધન્ય ધન્ય માવલડી ગુજરાતને
ધન્ય ધન્ય મથુરાનાં મોહનને
ધન્ય ધન્ય મેવાડની મીરાને
ધન્ય ધન્ય સહજાનંદ સ્વામીને
જેણે કરી કર્મભૂમી ગુજરાતને
જેણે પાવન કરી ભૂમિ ગુજરાતને.

ધન્ય ધન્ય નરસિંહ મહેતાને
ધન્ય ધન્ય વીર નર્મદને
ધન્ય ધન્ય કવિ પ્રેમાનંદને
ધન્ય ધન્ય કવિ નાનાલાલને
ધન્ય ધન્ય મહાત્મા ગાંધીને
જેણે ધન્ય કરી ભૂમિ ગુજરાતને
ધન્ય ધન્ય માવલડી ગુજરાતને
ધન્ય ધન્ય ભોમકા ગુજરાતને.

અજાણ્યું લાગતું નથી July 29, 2010

Posted by vijayshah in : કાવ્ય્ , 1 comment so far

એક અજાણી યુવતી

એક અજાણ્યા યુવક સાથે

લગ્નનાં ચાર ફેરા ફરે છે

અને માબાપનું ઘર મૂકીને

સગ સબંધીઓ ત્યજીને

એક અજાણ્યા ઘરમાં આવે છે

છતા એ અજાણ્યુ ઘર

તેને અજાણ્યું લાગતું નથી

સર્વત્ર વસંત છતા

Posted by vijayshah in : કાવ્ય્ , 1 comment so far

વૃક્ષ ઉપર અવનવાં પાન ઊગ્યાં છે,

જાત જાતનાં ફુલો ખીલ્યાં છેા ,

લીલું લીલું ઘાસ વિસ્તરી રહ્યું છે

અને સર્વત્ર વસંત ફેલાઇ રહી છે.

સવારનો સૂર્ય ટેકરીઓ પાછળથી

દેખા દઈ રહ્યો છે,

અને મંદ મંદ હસી રહ્યો છે, 

સાથે સાથે પશુ ,પંખીઓ

અને માનવીનાં મન પણ હસી રહ્યા છે,

છતા માનવીના મનને ક્યાંય શાંતિ નથી.

વાસણ ખાલી રાખજો! July 28, 2010

Posted by vijayshah in : કાવ્ય્ , add a comment

તમારું વાસણ ખાલી રાખજો!

તમારુ વાસણ ખાલી હશે તો

પ્રભુ બીજાંને આપવા

તેમાં કંઇક ભરશે

અને તમે તે બીજાને આપીને

પાછું ખાલી કરશો તો

પ્રભુ તે ફરીથી ભરશે.

પરંતુ મોહ, માયા અને લોભને કારણે

તમે તમારું વાસણ ભરેલું રાખશો તો

પ્રભુ તે વાસણ ક્યાંથી ભરશે?

માનો હાથ May 24, 2009

Posted by dhirushah in : કાવ્ય્ , 2 comments

 

હું માંદો હતો
ખાટલામાં પડ્યો હતો
અડધો નિદ્રામા હતો
માથે ઓઢેલું હતું
પત્ની ઘરમાં હતી
માં બહારગામ હતી

અચાનક એક હાથ
મારા ઉપર ફરવા લાગ્યો
હું સફાળો જાગી ગયો
અને ઊંઘમાં ને ઊંઘમાં
બોલી ઉઠ્યો “કોણ મા?
ક્યારે આવી?”

પત્ની પાસે ઉભી હતી
તેને આશ્ચર્ય થયું
અને તે બોલી ઉઠી
” તમને કેવી રીતે ખબર પડી,
આ બાનો હાથ છે ?”
મેં કહ્યું ” મા અને પત્ની
એ બંને નાં હાથ સરખા છે
છતા હાથ હાથ મા ફેર છે
જમીન આસમાન જેટલો .
માના હૈયામાં જે પ્રેમ હોય છે
જે મમતા હોય છે
માના ખોળામા જે સુખ હોય છે
જે શાંતિ હોય છે
તે બીજી કોઈ સ્ત્રીમાં હોતાં નથી
“મા તે મા બાકી વગડાના વા ,”

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.